વિચાર મંથન લાગણી વગરનો - TopicsExpress



          

વિચાર મંથન લાગણી વગરનો માણસ….! ? હમણાં જ એક મિત્ર સાથે નેટ પર ચૅટ કરતો હતો ને એણે એક સરસ પ્રશ્ન પૂછી નાંખ્યો કે, “લાગણી વગરનો માણસ હોય ખરો ?” મારાં મત મુજબ તો લાગણી વગરનો માણસ શક્ય જ નથી. દરેકને લાગણી તો હોય જ પછી તે સારી હોય કે ખરાબ, હકારાત્મક હોય કે નકારાત્મક પણ લાગણી તો હોય જ. લાગણી વગરનો માણસ જો કદાચ મળી આવે તો તે એક “Rarest of the rare case” ગણાય. આવો લાગણી વગરનો માણસ જો હોય તો તેને માણસ ગણવો કે નહીં તે વળી એક અલગ સંશોધન ને ચર્ચાનો વિષય છે. લાગણીઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોઈ શકે છે. પ્રેમની, ગુસ્સાની, સહાનુભૂતિની, તિરસ્કારની, પસ્તાવાની, અપરાધની, મિત્રતાની, દુશ્મનીની વિગેર વિગેરે…. અરે માણસની ક્યાં વાત કરો છો, પશુ-પક્ષીઓમાં પણ લાગણી તો હોય જ છે. થોડાં સમય પહેલાં જ એક મિત્રે share કરેલી એક હ્રૃદયસ્પર્શી વિડિયો ક્લીપમાં એક વાનર માતાની એના વાનરબાળ પ્રત્યેની લાગણી તાદૃશ્ય થઈ હતી. રસ્તા પર કોઈ વાહનની અડફેટે વાનરબાળ મૃત્યું પામ્યું હતું પણ માતા એનાં બાળકનાં મ્રૃતદેહ પાસેથી કંઈપણ ખાધા-પીધા વગર લાગલગાટ બે દિવસ સુધી ખસી નહોતી. વનસ્પતિઓ ઉપરનાં પ્રયોગોએ પણ સાબિત કરી દીધું છે કે છોડ, પાન, વેલ ને વ્રૃક્ષોને પણ લાગણી હોય છે. પશુ-પક્ષી અને વનસ્પતિઓથી માણસ લાગણીઓની બાબતમાં જુદો એટલાં માટે પડે છે કે માણસ લાગણીઓને કારણ (reason) સાથે અવશ્ય જોડે છે કે જોડવાનો પ્રયત્ન કરે છે. જોકે કેટલાંક પશુ-પક્ષીઓ પણ આમ કરી શકે છે પરંતુ માણસ જેટલી હદે નહીં. એમ પણ કહી શકાય કે અકારણ કોઈ પણ લાગણી ઉદભવતી નથી. તેથી જ કારણ વગર હસનાર કે રડનાર વ્યક્તિની માનસિક સ્થિતિ વિષે લોકોને શંકા ઉત્પન્ન થાય છે. એવું ય બની શકે કે વ્યક્તિ લાગણીશીલ તો હોય પણ લાગણી પ્રગટ ન કરી શકતી હોય. એને માટે પણ ઘણાં કારણો હોઈ શકે છે. જેમકે લાગણીનો પ્રતિસાદ ન મળવાનો ડર, ગેરસમજ થવાનો ડર, સામેની વ્યક્તિ એની લાગણી સમજી નહીં શકે એવી આશંકા, નબળા ગણાઈ જવાની આશંકા, શરમ, સંકોચ અથવા તો પોતાનો અહમ. ઘણી વ્યક્તિઓ લાગણીનું પ્રદર્શન કરવાનું બિનજરૂરી સમજતી હોય છે પરંતુ તેમનાં વર્તન અને વહેવારમાં ભારોભાર લાગણી છલકતી જોવા મળતી હોય છે. એમ કહેવાય છે અને મનાય છે કે લેખકો ને કવિઓ વધારે લાગણીશીલ હોય છે. અહીં લાગણીશીલને બદલે સંવેદનશીલ કહેવું વધુ યોગ્ય રહેશે. સંવેદનશીલતા માટે અંગ્રેજીમાં સરસ શબ્દ છે, ‘Empathy’. સહાનુભૂતિ (Sympathy) કેળવવી ને વ્યક્ત કરવી સહેલું છે પરંતુ સંવેદનશીલતા (Empathy) કેળવવી અને વ્યક્ત કરવી, પછી ભલે ને તે સાહિત્યસર્જન રૂપે હોય, અઘરું છે. Sympathetic હોવું સારી બાબત છે પણ Empathetic હોવું એનાથી પણ ચડિયાતી બાબત છે અને જે માણસ પાસે Empathy નું વરદાન છે તે માણસ સારો જ હોઈ શકે એમાં કોઈ જ શક નથી. અને આવી વ્યક્તિ જો તમારી મિત્ર હોય તો તમને ચોક્કસ તમારી મિત્રતા પર ગર્વ થવાનો જ. અંતે એટલું જ કહેવાનું કે, “લાગણીનું એક કમળ ખીલ્યું છે એજ તો મહેફિલતણો આધાર છે, તહેવારોની રાહ અમે જોતા નથી, તમે મળો એટલે જ તહેવાર છે.” અસ્તુ….
Posted on: Mon, 26 Aug 2013 08:25:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015